પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પર હુમલાની તપાસ કરી રહેલી સંયુક્ત તપાસ ટીમ (JIT) એ દાવો કર્યો છે કે PTIના વડા ખાનની ઇસ્લામાબાદની યાત્રા દરમિયાન સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
3 નવેમ્બરના રોજ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ખાન પર વજીરાબાદમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના જમણા પગમાં ગોળી વાગી હતી. હુમલા સમયે તેઓ એક ટ્રક પર ઉભા હતા અને લોંગ માર્ચને સંબોધિત કરી રહ્યા હતા, આ દરમિયાન હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.
લાહોરના પોલીસ વડા ગુલામ મેહમૂદ ડોગરની આગેવાની હેઠળની જેઆઈટીના અહેવાલ વિશે મીડિયાને માહિતી આપતા પંજાબના ગૃહ મંત્રી ઉમર સરફરાઝ ચીમાએ કહ્યું કે ખાન પરનો હુમલો એક સુનિયોજિત કાવતરું હતું. તેમણે કહ્યું કે જેઆઈટીને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે રેલી દરમિયાન એક કરતા વધુ હુમલાખોરે 70 વર્ષીય ખાનને મારવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રશિક્ષિત શૂટર છે હુમલાખોર
તેમણે જણાવ્યું કે પીટીઆઈ ચીફ પર હુમલો કરનાર નાવેદ એક પ્રશિક્ષિત શૂટર છે અને હુમલા સમયે તેની ગેંગના સભ્યો સાથે સ્થળ પર હાજર હતો. તેમણે કહ્યું કે નાવેદ પોલીગ્રાફ ટેસ્ટમાં પણ ફેલ થયો હતો. નાવેદે પોલીસને કહ્યું કે તે ખાનને મારી નાખવા માંગતો હતો કારણ કે તેની લોંગ માર્ચ દરમિયાન અઝાન સમયે સંગીત વગાડવામાં આવતું હતું.
નાવેદનો પિતરાઈ ભાઈ મોહમ્મદ વકાસ પણ તેની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને 3 જાન્યુઆરી સુધી JIT કસ્ટડીમાં છે. વકાસે 3 નવેમ્બરે ટ્વિટ કર્યું હતું કે ‘આજે ઇમરાન ખાનની રેલીમાં કંઈક મોટું થવાનું છે.
ઇમરાન ખાને આ લોકો પર લાગાવ્યો હતો હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
હુમલા પછી, ઇમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહ અને ISI મેજર જનરલ ફૈઝલ નસીર પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. પંજાબ પોલીસે ઇમરાન ખાન પર હુમલાના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી. જો કે, એફઆઈઆરમાં કોઈ હાઈ-પ્રોફાઈલ વ્યક્તિનું નામ નથી કે જેને ઇમરાન ખાને હુમલા માટે જવાબદાર ગણાવ્યા હતા.
પંજાબ પોલીસે જણાવ્યું કે નાવેદની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. નાવેદે પોતાના કબૂલાતમાં કહ્યું છે કે ઇમરાન ખાનની લોંગ માર્ચ દરમિયાન અઝાન સમયે સંગીત વગાડવામાં આવતું હતું, તેથી તે ઇમરાન ખાનને મારી નાખવા માંગતો હતો.